ગઝલ- દત્તાત્રય ભટ્ટ
જે જુઓ તે સ્વપ્નવત્ ,
રિક્તતા પણ રક્તવત્ .
ઝૂકશે જગ દંડવત્ ,
તું રહે જો પંડવત્ .
ગાલગે બંધાય ક્યાં ?
લાગણીઓ છંદવત્.
કોણ બેસે ? શું ખબર !
હું સજાયો તખ્તવત્.
કોઈ તો વીંધે મને,
હું ફરું છું મચ્છવત્.
ના કશું સ્પર્શે મને,
હું પડ્યો છું ગ્રંથવત્.
રોકવાનો થાક છે,
હું તૂટું છું બંધવત્.
દોડશે તું ભેટવા,
જો, મને તું અંતવત્.
દોડ, મારા શ્વાસમાં,
સ્થિર થૈ ગૈ અશ્વવત્.
દત્તાત્રય ભટ્ટ
ટૂંકી બહેરની ગઝલ એ કોઈ પણ કવિની કસોટી સમાન હોય છે. અને આ ગઝલ જો ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે મોટાભાગના શેરમાં કવિ સફળ રહ્યાં છે. માણસ જો પંડવત રહેતાં શીખે તો જગત નમશે એ વાત ખૂબ સુંદર છે. એ જ રીતે લાગણીઓ બંધનમાં બાંધી શકાતી નથી એ વાત આ ગઝલના છંદ "ગાલગા"ના પ્રતીકથી અદભૂત રીતે સમજાવાઈ છે.



1 Comments:
ટૂંકી બહેરની ગઝલો આમ પણ મને વિશેષ ગમે છે. શબ્દો જેટલા થોડા એટલી જ અર્થને વધુ મોકળાશ. એમાંય પ્રાકૃત શબ્દોનો ઉપયોગ અહીં અલગ અસર ઉપજાવે છે.
Post a Comment
<< Home