કૃષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર
આ નભ ઝૂક્યું તે કા’નજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા’નજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા’નજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા’નજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા’નજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા’નજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા’નજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા’નજી
ને નજરું જુએ તે રાધા રે.
(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો. સજીવ સૌન્દર્યચિત્રો દોરીને સજાવાયેલા ઘાટીલાં કાવ્યો નવીન પ્રતીકો અને લલિત પદાવલીથી વધુ ધ્યાનાકર્ષક બને છે. કૃષ્ણ અને રાધા માટેનો એમનો મીરાં જેવો અદકેરો પ્રેમ અમનાં અસંખ્ય ગીતોમાં રજૂ થયો છે. ‘નભ’થી ઉઘાડ પામીને આ કાવ્ય ‘લોચન’માં વિરમે એ દરમ્યાનમાં પ્રકૃતિથી માનવ-મન સુધી પ્રેમભાવ અદભૂત રીતે વિસ્તરે છે. કાવ્યસંગ્રહો : ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’ વિ.)



1 Comments:
વિવેકભાઈ, ધવલભાઈ
આભાર
આભાર, ફરમાઈશોનો માર્ગ મોકળો કરી આપવા માટે.
Post a Comment
<< Home