લયસ્તરો
ગુજરાતી કવિતા આસ્વાદ
Layastaro : Gujarati Poetry Blog
Friday, April 11, 2008
Tuesday, June 27, 2006
લયસ્તરોનું નવું રૂપ, નવું સરનામું !
નવું સરનામું તદ્દન સરળ છે : Layastaro.com
લયસ્તરોના નવા સરનામે જવા અહીં ક્લીક કરો.
સરનામું બદલાવાની સાથે જ RSS feed પણ બદલાશે. નવું ફીડ એડ્રેસ છે : http://layastaro.com/?feed=rss2
1 Comments:
- At 7/01/2006 09:06:00 PM, Nav-Sudarshak said...
-
All the Best!
A welcome change for the Better....
All Best Wishes ... Harish Dave
Sunday, June 25, 2006
બમ્બૈયા ગુજરાતી મ્હોરી રહી છે.
મુંબઈમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચાલતા કેટલાક વિશેષ કાર્યક્રમોની ઝલક આપતો કૃષ્ણા શાહ તથા નીલા સંઘવીએ લખેલો બહુ જ સરસ લેખ ગુજરાતી ભાષા આઈસીયુમાં છે? ખાસ વાંચવા જેવો છે. આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે જાણીને લાગે છે કે ગુજરાતીને આ સદી તો શું આવતી સદીમાં પણ કોઈ વાંધો આવવાનો નથી !
2 Comments:
- At 8/29/2006 07:19:00 AM, said...
-
Not able to access the link !!??
- At 9/02/2006 10:17:00 PM, ધવલ said...
-
Updated link is here : http://layastaro.com/?p=359
ગઝલ- જાતુષ જોશી
આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.
કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.
આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.
આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.
હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી
2 Comments:
- At 6/25/2006 04:56:00 PM, ધવલ said...
-
ગઝલ તો ઉમદા છે. ખાસ આ શેર...
આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.
આડવાતમાં, ગઝલમાંના અઘરા શબ્દોનો અર્થ તો વારંવાર જોવો પડે છે, પણ કવિના નામનો અર્થ શોધવો પડે એવું પહેલી વાર થયું :-)
BTW, જાતુષ = લાખનું બનાવેલું. - At 6/26/2006 06:26:00 AM, Suresh said...
-
Hey Dhaval,
I also liked the same lines and I had the same question about poet's name!!
How did you get the meaning of Jatush?
Saturday, June 24, 2006
ગુજરાતી ગઝલમાં "કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨"
કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.
નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:
તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.
મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.
આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:
શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.
શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:
સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !
શોભિત દેસાઈનું મન અલગ જ ગાડીમાં મુસાફરી કરે છે:
કદાચ એથી ગઝલ ધારદાર આવે છે,
ભીતરમાં લાંગર્યો છે એક કાફલો અયમન
શબ્દની ગાડીમાં સાવ જ મન વગર
મારી ઈચ્છાને ઢસેડી હોય છે
સુરેન ઠાકર ‘મેહુલ’ ગઝલ લખ્યા પછીની સંતુષ્ટિથી અભિભૂત છે:
‘મેહુલ’ ગઝલ લખીને એવું અનુભવું છું,
જાણે અમીનો મીઠો એક ઓડકાર નીકળ્યો
સર્જકોની મહેફિલ હોય અને પાલનપુરી ન હોય? શૂન્ય વિનાના સૌ એકડા નિર્માલ્ય છે. જે પ્રેરણા સદૈવ ચર્ચાનો વિષય રહે છે, એ પ્રેરણાની કબૂલાત કર્યા પછી પણ એને મોઘમ જ રાખે તે ‘શૂન્ય’ પાલનપુરી:
અમસ્તી હોય ના ભરતી કદી ઊર્મિના સાગરમાં,
એ કોની પ્રેરણાથી ‘શૂન્ય’ની ગઝલો લખાઈ છે !
જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય,
ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.
અમૃત ‘ઘાયલ’ ગઝલ એ દર્દ અને લોહીની પેદાશ હોવાની વાતને સિક્કો મારી આપે છે:
દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું.
ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં !
લખતા લહિયો થવાય એ કદાચ આદિલ મન્સૂરીની ફિલસૂફી છે:
શબ્દ સાથે ક્યાં હતો સંબંધ પણ,
લખતા લખતા અંતે લહિયો થઈ ગયો.
હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ,
હજીયે લોહી ટપકતું કલમની ધાર વિશે.
મનહર મોદી ગધેડા જેવા પ્રતીકથી અક્ષરોનું વહન કરવાની વાત ટૂંકમાં અને સચોટ કરે છે:
કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું ?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું.
મરીઝ એની સરળ ભાષામાં કવિની મર્યાદા સ્વીકારે છે:
એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.
મનોજ ખંડેરિયા શબ્દોની દાદાગીરી સામે નમતું જોખે છે:
“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો
આ સતત લખવાનો આશય એ જ કે
સ્વપ્નની જેવું જ કંઈ લગભગ દઉં
શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો,
એક ઝંઝાવાતને ખાળી લીધો.
કાવ્યલેખનની પ્રક્રિયામાંથી હું શી રીતે પસાર થાઉં છું કે શા માટે હું કવિતા લખું છું એની કેફિયત મારે આપવાની હોય તો શું આપું? :
શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’
હણહણી ગઝલો મહીં એથી સદા,
શ્વાસ પર મુજ શબ્દના અસવાર છે.
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
-વિવેક ટેલર
5 Comments:
- At 6/24/2006 10:39:00 PM, said...
-
Mitr Vivek,
aabhar.. abhinandan... ne have kaavya sarjan ni prakriya -3 ni raah ma
Meena - At 6/25/2006 12:50:00 AM, radhika said...
-
dr. vivek tailor = shree Raish Maniar = now any comman gujarati can understand and can creat " KAVYA "
Radhika.. - At 6/25/2006 10:14:00 AM, ધવલ said...
-
સર્જનની પ્રક્રિયાથી વધારે સંકુલ વિષય થોડા જ હશે. લોઢું જ લોઢાને કાપી શકે એ રીતે આ પંક્તિઓ જ સર્જનપ્રકિયાને માપી શકે.
આ લયસ્તરો પર રજૂ થયેલ સર્વોત્તમ પોસ્ટમાંથી એક છે.
અને હા, શ્યામ સાધુની વાત ગમી ગઈ !
સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !
અને...
હણહણી ગઝલો મહીં એથી સદા,
શ્વાસ પર મુજ શબ્દના અસવાર છે.
અને, આ શેર ના ગમે એવું બને જ કેવી રીતે ?:-)
કરે છે હજી કેમ ‘હોંચી’ ગધાડું ?
મેં અક્ષર ભર્યા છે, હું ખેંચું છું ગાડું. - At 6/26/2006 01:27:00 PM, ઉર્મિ સાગર said...
-
very nice selection Vivekbhai...
કવિની પોતાની ઉર્મિ પ્રત્યેની નિખાલસતા...
દરદ ન હોય તો આવી રીતે દ્રવી ન શકું,
ને શબ્દરૂપે અહીં આમ હું સ્ત્રવી ન શકું
કવિની મર્યાદા...
એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી
આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના.
કવિની દાદાગીરી...
“મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
મને કોઈ મનમાંથી આપે છે જાસો
અને બીજા કેટલાયે...ખુબ જ સરસ કવિના વિવિધ ભાવો દર્શાવતી કડીઓ છે.
Enjoyed very much..
Thank you for sharing...
ઉર્મિ સાગર - At 7/04/2006 04:05:00 PM, said...
-
રણકે ગઝલ
દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ.
મહેકે કોઇની યાદ ના પુષ્પો રણકે ગઝલ.
હવેતો કયાંથી વસંતી વાયરા પાછા ફરે
સબઁધો કઁટકો થૈને ખુઁપે તણખે ગઝલ.
રદીફ નીલાગણી ને કાફિયા દુ:ભાય જયાઁ,
વજનની અસ્મિતાઓ તૂટતાઁ કણસે ગઝલ.
ઉજાડીદો કોઈના બાગના ભર્યાઁ ભર્યાઁ ફૂલો,
દુ:ખી ની હાય ના રણવગડા પણ જણશે ગઝલ.
સરળ ને સાદી બાની મા ‘વફા’કહીદો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.
ગઝલ- મોહઁમદઅલી ભૈડુ”વફા”
લદાદા લદાદા લદાદા લદાદા.
ગઝલને મળ્યાછે બળાપા બળાપા.
રદિફ કાફિયાની કેવી આ બંદિશછ,
તાં રુપ એનૂ સરાપા સરાપા.
વરસ સેંક્ડોથી લખાતી રહી છે,
છતાં એના રંગો સુહાના સુહાના.
કોઇ નવ દુલ્હનની હઠેળી એ જાણે,
રંગોની રમજ્ઝટ હિનાના હિનાના.
ઢળી ગુજ્ર્રી અંગે એની અદાઓ,
અરબ ફારસીની ઝનાના ઝનાના.
ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ,
અને મસ્નવીના ખઝાના ખઝાના.
અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને,
થયા કેવા પગરવ મઝાના મઝાના.
વફા આ ગઝલ તો હૈયાની ભાષા,
સ્રોતા ઓ એના દિવાના દિવાના.
મોહઁમદઅલી ભૈડુ”વફા”
ફેબ્રુ.2006
છઁદ: લદાદા લદાદા લદાદા લદાદા
(ફઊલુન ,ફઊલુન, (ફઊલુન ,ફઊલુન,)
મુતકારિબ(ભુજંગી) છન્દ.(12 અક્ષરી)
Friday, June 23, 2006
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? - વિવેક મનહર ટેલર
(પાણીની અંદરનું વિશ્વ... ....માલદીવ્સ, ફેબ્રુઆરી-02)ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ...ક્..છી’ કોઈ.
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.
ડૉ.વિવેક મનહર ટેલર
3 Comments:
- At 6/24/2006 01:49:00 AM, Nav-Sudarshak said...
-
વાહ, દોસ્ત, વાહ! ગઝલ તો ગમી જ. સાથે ફોટોગ્રાફ પણ... અંડર-વોટર ફોટોગ્રાફી ચેલેંજીંગ હોય છે. લાઈટ અને એક્ષ્પોઝર, રંગ અને ડેવલપિંગ ... બધાનો વિચાર કરો ત્યારે આવો સુંદર ફોટો મળે!! ... હરીશ દવે
- At 6/24/2006 11:54:00 AM, said...
-
Mitr Vivek,
tari aa rachna kyarey nahi bhulaay..
tc
Meena - At 6/25/2006 02:05:00 AM, Suresh said...
-
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
આ કડીઓ બહુ જ ગમી.આપણામાં કંઇક ઘનની અછત છે તે ભાવ વાંચી જવાહર બક્ષી યાદ આવી ગયા - "હું ઢોલ છું પીટો મને ....."
તબીબની કવિતામાં પહેલીજ વાર તબીબ વાંચવાની મઝા આવી !
છેલ્લી બે પંક્તિઓનું રસદર્શન ગુજરાતી પોએટ્રી કોર્નર માં કરાવશો તો આનંદ થશે.
આંખ લૂછું છું - શેખાદમ આબુવાલા
તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે,
છતાં બેચેન થઈ હું કેટલાયે પ્રશ્ન પૂછું છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું છું હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.
- શેખાદમ આબુવાલા
Thursday, June 22, 2006
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું... - સુરેશ દલાલ
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો'કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.
આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.
તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!
-સુરેશ દલાલ
પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.
6 Comments:
- At 6/22/2006 11:53:00 PM, radhika said...
-
khari vat dhaval bhai
ane aatli prasnnatathi jivatu dampatya pan javalle j jova made chhe
..........
sundar rachna chhe - At 6/23/2006 03:13:00 AM, Jayshree said...
-
કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોશી ડોશાને હજુ વ્હાલ કરે છે....
આ રચના પણ સુરેશ દલાલ ની જ છે ને ?
Its one of my favourite.
અહીં પ્રસ્તુત રચના ખુબજ સુંદર છે. મમ્મી - પપ્પા યાદ આવી જાય એવી સુંદર.... - At 6/23/2006 06:31:00 AM, Suresh said...
-
મને લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં ઇલા-કાવ્યો, લીલા-કાવ્યો, સોનલ-કાવ્યો પછી ડોસી-કાવ્યો ની પણ એક શૃંખલા મળશે!
- At 6/23/2006 10:01:00 AM, Urmi Saagar said...
-
soooo good! kind of inspirational!! like it very much....
- At 6/23/2006 02:54:00 PM, manvant said...
-
આ ધવલ- વિવેકની જોડી સુન્દર લાગે છે !
પણ વિવેક આગળ ધવલ છુપાતો ભાસે છે !
ખેર !સુરેશભાઇએ લગ્નની જીદ રજૂ કરી અને અંતે
સોનલ કમળ,રૂપેરી ભમરો,બિલોરી તળાવ દ્વારા વહાલની પરાકાષ્ટા સર્જી છે ! - At 9/12/2006 12:05:00 AM, said...
-
we need more of this 'rahnas'to make our coming generations realise the imortance of marriage and love that flourishes more between the two as the time goes and binds the family together
Tuesday, June 20, 2006
છિદ્રો - મૂકેશ વૈદ્ય
મેં એક મૂર્તિ ઘડી
એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારું ધ્યાન ખેચ્યું.
હું મૂર્તિની વધારે નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
એક વાર તો હું
તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીયે અકબંધ ઊભી છે.
- મૂકેશ વૈદ્ય
"આ કવિતામાં કઈ વાત છે? (અ) ખંડિત મૂર્તિના પૂજનની વ્યર્થતાની કે (બ) અપૂર્ણને પણ ચાહી ચાહીને પૂર્ણ બનાવી શકાય છે એની. "
"એ તો તમે જાણો !"
"કદાચ કવિ બન્ને વાત કહેવા માંગે છે. કદાચ જીંદગીમાં આ બન્ને વાત જેટલી અલગ લાગે છે તેટલી ખરેખર છે નહીં એવું કવિ કહેવા માંગતા હોય."
"એય તમે જાણો ! મને તો બસ કવિતા ગમી એટલે ગમી. એમાંના છિદ્રો અને તિરાડો જોવાનું કામ તમારું, મારું નહીં."
"???"
"!!!"
8 Comments:
- At 6/21/2006 12:42:00 AM, Gurjar Desh said...
-
જો અહીં મુર્તિને ભગવાનની મુર્તિનુ રૂપક આપેલું હોય તો એ રીતે લઇ શકાય કે સૌ પ્રથમ તો ભગવાન વિશે થોડુ ઘણુ જાણ્યુ. બાદમાં ભગવાને કસોટી કરી છતાં પણ મનમાં ભગવાન પ્રત્યેનો ભાવ સહેજ પણ ઓછો થયો નહોતો.
જો અહીં મુર્તિને પ્રેમિકા સાથે સરખાવીએ તો પ્રથમ તો કુણી લાગણીના અંકુર ફુટ્યા. બાદમાં દીલ ઘવાયુ છતાં હજુ પણ મનમંદિરમાં એ મુર્તિ અકબંધ યાદોમાં સચવાયેલી છે. - At 6/21/2006 01:14:00 AM, Neha said...
-
"એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો."
Shabdo ne shodhi ne tene, vastavikata ao sathe gothavi ne, review apanva nu nahi fave..shri Mukeshbhai ne shu samjayu ne emane lakhyu e nathi khabar pan emani ek line..Vishavas na kachaa tantu ne majboot banavi jay che...Happy!!!someone is there thinking like this way........
Wants to write in gujarati but helpless, rightnow not having keyboard & dont have patinece.
Thanks Dhavalbhai,..aa rachana share karava mate. - At 6/21/2006 07:43:00 AM, વિવેક said...
-
મને કોઈ ત્રીજો જ અર્થ દેખાય તો?
આ વાત મને તો કવિએ શિલ્પકારના સ્વાંગમાં કરેલા સર્જનની લાગે છે.... પોતાનું સર્જન... પિતા માટે એ બાળક હોઈ શકે, કવિ માટે કવિતા, ચિત્રકાર માટે ચિત્ર અને શિલ્પકાર માટે શિલ્પ.... મૂર્તિના પ્રતીક વડે પોતાના સર્જનની મહત્તા અને શાશ્વતતા બતાવવાની કોશિશ શું આ ન હોઈ શકે?
મારું સર્જન ગમે તે હોય, મને એ સદૈવ પરિપૂર્ણ જ લાગવાનું... કદીક મને ખુદને જાણ થાય કે મારા સર્જનમાં કંઈક ખામી છે તો હું એ ખામીને નજીકથી સમજવાની કોશિશ જરૂર કરવાનો... પણ નજીક જતાં મને બીજી ઘણી ખામીઓ મળે તો હું વિહ્વળ તો થવાનો જ ને! ક્યારેક મારી ખામીના મૂળ સુધી પણ હું જઈ આવું તો પણ હું મારું સર્જન અપૂર્ણ કે ખંડિત છે એમ શું સ્વીકારી શકીશ? પોતાના સર્જન માટેનો આપણો પ્રેમ એટલો તીવ્ર હોય છે કે આખેઆખું સર્જન નષ્ટ થઈ જાય તો ય આપણા દિલોદિમાગમાંથી એ કદી નાશ પામી શકતું નથી..
આ અર્થ કવિને ઈંગિત ન પણ હોય. તો પણ ખંડિત મૂર્તિના પૂજનની વાત તો નથી જ લાગતી... - At 6/21/2006 08:46:00 AM, said...
-
Vivek,
tari vaat sathe hu bilkul sahemat chhu. kadach mai tari pahela reply aapyo hot to mai pan aa j vaat kahi hot...
potanu sarjan... game atli tiraad nazar aave .. haiya ma akbandh j rahevani... ne kyarek aham pan akbandh j rakhva prere chhae..
Meena - At 6/21/2006 03:05:00 PM, manvant said...
-
એક સંસ્કૃત કહેવત :
છિદ્રેશ્વનર્થા: બહૂલિ ભવંતિ !
અર્થ :છિદ્રો (જોવાથી)ઘણા અનર્થો થાય છે ! - At 6/21/2006 10:46:00 PM, ધવલ said...
-
આ કવિતા વાંચી ત્યારે મારા મનમા કેટલાય વિચારો એકસાથે આવેલા. અને એના પરથી મને કવિતા પછીનો સંવાદ લખવાનો વિચાર આવ્યો. જો કવિતાનો એક અને માત્ર એક જ સ્પષ્ટ અર્થ હોય, તો પછી એ કવિતા લખવાની જરૂર જ શું ?
તમે કવિતાની આંખમાં જુઓ અને તમને જે દેખાય, તે જ તમારા માટે એનો અર્થ. પ્રેમ અને ઈશ્વરની જેમ, એક જ કવિતાનો અર્થ મારા માટે અને તમારા માટે જુદો થઈ શકે. આજે એક અર્થ લાગે અને કાલે બીજો અર્થ પણ લાગી શકે.
આ મહેફીલમાં બધા પોતપોતાની વાત લઈને આવે છે એ જ મહત્વની વાત છે. દરેક મંતવ્યની પાછળ એક આખા આયખાંનો ભૂતકાળ ભરેલો હોય છે. એ મંતવ્ય ખરૂં હોય કે ખોટું હોય એ મુદ્દો નથી; મુદ્દો તો છે કે દરેક મંતવ્ય અનોખું હોય છે. - At 6/22/2006 02:00:00 AM, said...
-
priy Dhaval,
tari vaat sathe pan hu sahmat chhu... kaavya ae j raheshe.. arth badlaya karshe aapna vichar kai gati ma che aeni sathe...
meena - At 6/23/2006 10:16:00 AM, ઉર્મિ said...
-
ધવલભાઇની વાત એકદમ સરસ અને સત્ય છે. મારા મતે એ કવિતા ખુબ જ સફળ અને સુંદર હોય છે જેને વાંચતા દરેક વાંચકને એ પોતાની જ લાગે... લાગે કે આ તો મારા જ અંતરના ભાવની અભિવ્યક્તિ છે... અને દરેક વ્યક્તિનાં ભાવ તો અલગ જ રહેવાનાં ને! જેટલા ભાવ તેટલા અર્થ, અને છતાં એ બધા જ કવિતામાં બન્ધ બેસે..
એવી સુંદર કવિતાઓમાંની જ આ પણ એક છે.
Monday, June 19, 2006
મથુરાદાસ જેરામ - ઉદયન ઠક્કર
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.
( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો'રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે'વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
- મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે... સમજ્યા.)
જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.
(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
- ઉદયન ઠક્કર
(ફાધર્સ ડેના અવસારે)
3 Comments:
- At 6/19/2006 08:34:00 PM, said...
-
Dhaval.. aabhaar.
Udayan Thakkar ni aa pitru anjli saame natmastak chhu.
Meena - At 6/20/2006 12:43:00 PM, said...
-
dear Dhaval,
indeed a very good poem
kalpan - At 6/20/2006 12:54:00 PM, Siddharth said...
-
ધવલ,
ફરી વખત અભિનંદન.....સમયને અનુરૂપ સુંદર અને લાગણીસભર રચના રજૂ કરવા માટે....
સિદ્ધાર્થ
Sunday, June 18, 2006
ગઝલ- દત્તાત્રય ભટ્ટ
જે જુઓ તે સ્વપ્નવત્ ,
રિક્તતા પણ રક્તવત્ .
ઝૂકશે જગ દંડવત્ ,
તું રહે જો પંડવત્ .
ગાલગે બંધાય ક્યાં ?
લાગણીઓ છંદવત્.
કોણ બેસે ? શું ખબર !
હું સજાયો તખ્તવત્.
કોઈ તો વીંધે મને,
હું ફરું છું મચ્છવત્.
ના કશું સ્પર્શે મને,
હું પડ્યો છું ગ્રંથવત્.
રોકવાનો થાક છે,
હું તૂટું છું બંધવત્.
દોડશે તું ભેટવા,
જો, મને તું અંતવત્.
દોડ, મારા શ્વાસમાં,
સ્થિર થૈ ગૈ અશ્વવત્.
દત્તાત્રય ભટ્ટ
ટૂંકી બહેરની ગઝલ એ કોઈ પણ કવિની કસોટી સમાન હોય છે. અને આ ગઝલ જો ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે મોટાભાગના શેરમાં કવિ સફળ રહ્યાં છે. માણસ જો પંડવત રહેતાં શીખે તો જગત નમશે એ વાત ખૂબ સુંદર છે. એ જ રીતે લાગણીઓ બંધનમાં બાંધી શકાતી નથી એ વાત આ ગઝલના છંદ "ગાલગા"ના પ્રતીકથી અદભૂત રીતે સમજાવાઈ છે.
1 Comments:
- At 6/18/2006 10:05:00 PM, ધવલ said...
-
ટૂંકી બહેરની ગઝલો આમ પણ મને વિશેષ ગમે છે. શબ્દો જેટલા થોડા એટલી જ અર્થને વધુ મોકળાશ. એમાંય પ્રાકૃત શબ્દોનો ઉપયોગ અહીં અલગ અસર ઉપજાવે છે.
Saturday, June 17, 2006
ગુજરાતી ગઝલમાં "કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧"
ગઝલ શી રીતે લખાય છે એ પ્રશ્ન કોઈને પૂછો તો શો જવાબ મળે? સુરતના ડૉ. મુકુલ ચોક્સીને પૂછી જોઈએ?
ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.
કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા તપાસીએ:
હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.
હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પતિભા થઈ નથી શકતી.
સુરતના જ ડૉ. રઈશ મનીઆરના કહેવા પ્રમાણે ગઝલ એટલે પોતાની જાતથી અલગ થવાની પ્રક્રિયા:
ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,
સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.
રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.
એ ય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.
શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.
જવાહર બક્ષીનો અંદાજ બધાથી નિરાળો છે. એ ગઝલને તાબે જ થઈ જાય છે:
એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં
કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’,
મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી.
રમેશ પારેખ એમની નોખી શૈલીમાં આ રીતે સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ નાંખે છે
છે, પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?
રમેશ, હું પયગંબર થઈને વરસું છું,
કાગળિયા છલકાવું છું સરવરની જેમ
રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
કલમમાં ઘસઘસાટ ઊંઘતી રહી પીડા,
શબ્દ નળ જેમ અર્ધવસ્ત્ર ધોધમાર આવ્યો.
પરોવું મોતી જેમ શૂન્યતાના ઝુલ્ફોમાં
ન જાણું ક્યાંથી આ શબ્દોનો ખજાનો આવ્યો.
અમૃત ઘાયલ ખૂબ મીઠી રીતે ગઝલના મૂળ સુધી પહોંચે છે:
છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.
મીઠાં શમણાં વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
વાહ, ‘ઘાયલ’, ગઝલ !
જ્ઞાન સાથે ગમત.
મનોજ ખંડેરિયા પણ કવિતાની આગ ઝરતી તાકાતથી અજાણ્યા નથી જ:
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
કવિ અનિલ જોશી કહે છે:
ચણોઠીઓના ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં સીતાજી.
અંતે આ ઈશ્વરદત્ત બક્ષીસ વિશે મારે કશુંક કહેવું હોય તો શું કહું? :
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ !
-વિવેક ટેલર
7 Comments:
- At 6/17/2006 08:07:00 AM, said...
-
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
ડૉ.વિવેક ટેલર્
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે એમ પણ બને.
મનોજ ખંડેરિયા
ખૂબ સરસ વાત....!!! - At 6/17/2006 08:08:00 AM, Neha said...
-
The talk of teaching in form of poem...Just Fantastic !!
- At 6/17/2006 08:09:00 AM, SV said...
-
અને વિવેક ટેલર શું કહે છે?
- At 6/17/2006 08:09:00 AM, વિવેક said...
-
વિવેક ટેલર શું કહે છે એ છેલ્લા ત્રણ શેરમાં લખ્યું જ છે:
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ ! - At 6/17/2006 07:51:00 PM, urmi said...
-
વિવેકભાઇ,
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ
આ બંને પંક્તિઓ ખૂબ જ હ્રદયસ્પર્શી છે!!
હ્રદયની ઉર્મિને તમે ખુબ જ સુંદર રીતે રજૂ કરી છે.
"કે ક્ષર કાગજ પે..." માં તમે હિન્દી ભાષાનો ઉપયોગ કેમ કર્યો એ સમજાતું નથી...
ઉર્મિ સાગર - At 6/21/2006 11:57:00 PM, નસરૂલ સૈયદ said...
-
માનનીય વડીલો−
ખૂબ સરસ વાત છે!!! છતાં
ગુજરાતી ગઝલની વાત છે અને એકપણ પાલનપુરીનું નામ નથી. કંઈક ખૂટે છે, જે મને ખુંચે છે.
-બાકી blog બહુ સરસ છે.
નસરૂલ સૈયદ - At 6/22/2006 01:52:00 AM, વિવેક said...
-
શ્રી નસરૂલભાઈ સૈયદ,
આપની વાત સાચી છે. સ્થળસંકોચના કારણે ઘણાં નામ અહીં નથી. પણ આપ જો પોસ્ટનું શીર્ષક જોશો તો જણાશે કે આ આપોસ્ટનો અંત નથી, આરંભ છે. આ પહેલી કડી છે અને શનિવારે તમને બીજી કડી પણ જોવા મળશે... જો આપ પાસે સૈફસાહેબ અથવા શૂન્યનો કોઈ શેર આ પ્રક્રિયાના અનુસંધાનમાં હોય તો મોકલશો, જેથી આપના ઋણસ્વીકાર સાથે એ શનિવારે મૂકી શકાય.
Friday, June 16, 2006
ઊર્મિનો સાગર
ઊર્મિનો સાગર એ ઊર્મિની કવિતાઓ બ્લોગ છે.એની પોતાની કવિતાની સાથે જ એ પોતાને ગમતી બીજા કવિઓની કવિતાઓ પણ રજૂ કરે છે. પહેલી કવિતા એણે કવિ કાંતની પ્રસિદ્ધ રચના સાગર અને શશિ આજે મૂકી છે, ખાસ કારણ એ કે આજે કવિની પૂણ્યતિથિ છે. કવિનો પહેલો (અને એકમાત્ર) કાવ્યસંગ્રહ પૂર્વાલાપ જે દિવસે પ્રગટ થયેલો એજ દિવસે એમનું અવસાન થયેલું.
ઊર્મિની પોતાની રચનાઓ પણ સશક્ત છે. એમાંની એક રચના અહીં જુઓ.
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.
રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.
1 Comments:
- At 6/17/2006 09:24:00 PM, Urmi said...
-
Thank you very much Dhavalbhai...
I hope to keep my blog interesting enough for everyone to visit and enjoy...
Also, I have made the site-change per your suggestion. Thank you for your suggestion...
Thanks again...
નેટ પર સાંભળો સોલીનું આલ્બમ
સોલી કાપડિયા એ ગુજરાતી સંગીતજગતમાં સૌથી વધારે સૂરીલા નામો માંથી એક છે. સોલીભાઈ મૂળ સૂરતના પણ પાછળથી મુંબઈ એમની કર્મભૂમિ. સોલી વિષેની એક વેબસાઈટ આજે જોવામાં આવી. (આભાર, જયશ્રી).આ વેબસાઈટમાં સોલી વિષે ઘણી માહિતી ઉપરાંત એનુ એક આલ્બમ પ્રેમ એટલે કે... સાંભળી પણ શકો છો. ઘણા વખતે સોલીનો કંઠ સાંભળીને આનંદ થઈ ગયો.આ આલ્બમના ગીતોમાંથી પ્રેમ એટલે..., આ શ્હેર... અને એમ પણ બને પહેલાં લયસ્તરોમાં રજૂ કરેલા છે, એ પણ સાથે જોશો.
2 Comments:
- At 7/01/2007 01:05:00 AM, said...
-
Soli Kapadia is an amazing singer...I think he is one of my favourite singer.I really love his voice,his clarity in voice, his dictions, his expressions in each and every songs. Being a singer i know how much difficult it is, to maintain all these difficult things while you are performing...He is an amazing composer, arrenger and extra ordinary performer when Nishaji [His wife ] is with him..i think he is inimmetable...May god give him strainght to provide this kind of music whole life to his fans
Here are his albums....
01. PREM ETLY KE
02. NAJAR NA JAAM CHALKAVI NE
03. TARI AANHK NO AFINI
04. MARA HRIDAY NI VAAT
05. EK KAAGAL HARIVAR NE
06. NAYAN NE BANDH RAKHI NE
07. AAPNA SAMBANDH
08. O'SAJANA [ NISHA KAPADIA]
09. DIL-E-UTHYA JE SUR
10. SANAM SHOKEEN
11. NAJAR NE KAHI DO KE
12. KAHU KHAAS CHE.[ NISHA KAPADIA ]
THERE ARE SO MANY ALBUMS OF HIS JAIN STAVANS... - At 7/01/2007 03:15:00 AM, said...
-
Soli Kapadia is an amazing singer...I think he is one of my favourite singer.I really love his voice,his clarity in voice, his dictions, his expressions in each and every songs. Being a singer i know how much difficult it is, to maintain all these difficult things while you are performing...He is an amazing composer, arrenger and extra ordinary performer when Nishaji [His wife ] is with him..i think he is inimmetable...May god give him strainght to provide this kind of music whole life to his fans
Here are his albums....
01. PREM ETLY KE
02. NAJAR NA JAAM CHALKAVI NE
03. TARI AANHK NO AFINI
04. MARA HRIDAY NI VAAT
05. EK KAAGAL HARIVAR NE
06. NAYAN NE BANDH RAKHI NE
07. AAPNA SAMBANDH
08. O'SAJANA [ NISHA KAPADIA]
09. DIL-E-UTHYA JE SUR
10. SANAM SHOKEEN
11. NAJAR NE KAHI DO KE
12. KAHU KHAAS CHE.[ NISHA KAPADIA ]
THERE ARE SO MANY ALBUMS OF HIS JAIN STAVANS...
મોરપિચ્છ અને ટહુકો
સાન ફ્રાન્સિસ્કોથી જયશ્રીએ બે સરસ ગુજરાતી બ્લોગ શરુ કર્યા છે.બન્નેના નામ પણ મઝાના રાખ્યા છે - મોરપિચ્છ અને ટહુકો.
મોરપિચ્છમાં એ કવિતા, ફોટા, પોતાના વિચારો અને સમાચારો મૂકવાનો વિચાર રાખે છે. જ્યારે ટહુકો બ્લોગમાં માત્ર સંગીત વિષયક વાતો આવશે. શરુઆતના પોસ્ટ પરથી આ બન્ને બ્લોગ ખૂબ રસપ્રદ બની રહેશે એવું લાગે છે. ઓલ ધ બેસ્ટ, જયશ્રી.



0 Comments:
Post a Comment
<< Home